સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી!

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી!

એક માણસનું જીવન ઝેર થઇ ગયું. આશાનું નાનકડું કિરણ પણ ક્યાંક નજરે ચઢતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છુટકો. શહેરની વચ્ચેથી રેલ્વે પસાર થાય ત્યાં જઈને, ગાડી આવે ત્યારે પાટા પર પડતું મુકવાનું તેણે નક્કી કર્યું.
પણ ઘેરથી નીકળતા બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એક પણ જો એના તરફ જોઈને સ્મિત કરે, એ સ્મિત એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું.
... હવે એ વાત ને ત્યાં રાખીએ. એ માણસનું શું થયું, તે જવા દઈએ. પણ, એક સવાલ થાય છે: એ માણસ ઘેરથી નીકળ્યો પછી રસ્તામાં કદાચ તમેજ એને સામા મળયા હોત તો?  - બોલો, એનું શું થાત? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી જોજો!

આ નાનકડી વાર્તા સુમંત દેસાઈ દ્વારા લખાયેલી છે. જે હમણાં જ મેં થોડા દિવસો પહેલા શ્રી. મહેન્દ્ર મેઘાણી દ્વારા ‘અરધી સદીની જીવનયાત્રા પુસ્તકમાં વાંચી. વાર્તા વાંચીને મન હિલોળે ચઢી ગયું. હું વિચારી રહી કે લેખકે આ વાર્તા દ્વારા પૂછેલો પ્રશ્ન એ આપણા સમાજનો કેટલો મોટો પ્રશ્ન છે. અને આ ભલે એક કાલ્પનિક વાર્તા હોય તો પણ આપણા સમાજમાં, આપણી આસપાસ આવા કિસ્સાઓ વાસ્તવમાં જોઈએ સાંભળીએ છીએ જ.

મારા મંતવ્ય પ્રમાણે જો ઉપરની ઘટનાને આજના સંદર્ભમાં જોઈએ તો આપણો સમાજ બે મૂળભૂત સમસ્યાના સમાધાનમાં અસફળ સાબિત થયો છે. એક કે જયારે કોઈ વ્યક્તિ જીવનથી એટલો બધો નાસીપાસ થઇ જાય છે કે એ મૃત્યુને શરણે જવું સહેલું માને છે. અને બીજું કે જયારે એક નિરાશાથી ઘેરાયેલો વ્યક્તિ પોતાની જાતને મૃત્યુ ની શરણે જતા પહેલા જીવવાની બીજી તક આપવા માંગે છે, અને પોતાની આસપાસના વર્તુળમાં એક પોતીકું અને હુંફાળું સ્મિત ઝંખે છે, ત્યારે એના મનમાં શંકાનો ઉદભવ કે એને આ હૂંફ મળશે કે કેમ!
 આ બંને મર્યાદાઓ કમનસીબે સમયની સાથે ઘટવાની જગ્યાએ વધતી જઈ રહી છે. આજે ભૌતિકવાદ વ્યક્તિને સાચી સફળતાથી દૂર કરી રહ્યો છે અને જેથી સ્પર્ધાત્મક વાતાવરણમાં આપણો સમાજ પણ સફળતાની સંકુચિત વ્યાખ્યા પર જ ચાલવા માંડ્યો છે. સમાજ આજે વ્યક્તિની નિષ્ફળ થવાની સંભાવનાને સ્વીકારવામાં પાછળ થઇ ગયો છે. જેની પાસે પૈસા નથી, કોઈ મોટો દરજ્જો નથી એને સમાજ હીન દ્રષ્ટીથી જોઈ રહ્યો છે. જેને પરિણામ સ્વરૂપ એ વ્યક્તિ પણ પોતાની જાતને સફળતાના સૂચકાંક પર નીચે અંકિત કરવા માંડ્યો છે. આજે વ્યક્તિની સફળતાને આંકવા આપણા સમાજે એના વિચારો અને મૂલ્યો કરતા મોબાઈલ કે કપડાની બ્રાંડને વધારે મહત્વ આપવા માંડ્યું છે અને ખરેખર આ ખૂબ નિરાશાજનક બદલાવ છે.

હું જયારે આવા ઉદેશ્ય વગરની સમાજની દોડની વાત કરી રહી છું ત્યારે હું દેશની સીમાઓમાં તેને બાંધી નથી રહી. હું સમગ્ર વિશ્વના માનવ સમુદાય ની વાત કરી રહી છું. ઘણીવાર આવા કથનો ગેરસમજને ઉભી કરે છે. હમણાં થોડા સમય પહેલા જ એક મિત્ર સાથે ભારતીય સમાજ/સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિની તુલના પર સારી એવી ચર્ચા થઇ હતી. જોકે અમે કોઈ નિષ્કર્ષ પર આવ્યા નહોતા અને કદાચ એનો કોઈ એક નિષ્કર્ષ મળી પણ ના શકે કારણ કે દરેક વ્યક્તિ ની પોતાની પાસે અને સમાજની પાસેની અપેક્ષાઓ અલગ અલગ હોય છે. છત્તા હું એટલું તો જરૂર કહીશ કે ભૌતિક સુખ સુવિધાઓ માત્ર થી વ્યક્તિ આંતરિક રીતે પણ સુખી થઇ જ જાય એ વાત સંપૂર્ણ સાચી નથી. આજે મોટા ભાગના પશ્ચિમના દેશોમાં ભૌતિક સુવિધાઓ આપણા દેશ કરતા તો સારી જ છે. પણ ત્યાં પણ ડીપ્રેશન, એકલતા અને આત્મહત્યાના કિસ્સાઓ બને જ છે. ટૂંકમાં, માણસને આંતરિક રીતે સુખી રહેવા માટે  ઘણા બધા કારણોની જરૂર હોય છે, અને એમાનું એક છે – આપણું સામાજિક માળખું.

ગાંધીજી એ કેટલાય વર્ષો પહેલા આ ભવિષ્યને ભાખ્યું હતું અને હિન્દ સ્વરાજમાં લખ્યું હતું કે, ભોગવાદ માણસને ગુલામ બનાવશે અને ઘણી અદ્રશ્ય કેદોમાં માણસને જકડી લેશે. આજે માણસની સ્વંત્રતા તો ઝાંઝ્વાના જળ જેવી બની ગઈ છે. દેખીતી રીતે કોઈ બાહ્ય પરિબળ તેના પર કોઈ બળજબરી કરતુ નથી. પરંતુ પરદા પાછળ બજારનું ગુહ્ય અદ્રશ્ય પરિબળ પોતાનું કામ કરી રહ્યું છે. અને આ બધું માણસની માણસાઈ ને નિચોવી નાખનારું છે. અને આ માણસના માનવીય વિકાસ માટે વિઘાતક છે. 

હું પોતે એક પરિવર્તનશીલ વ્યક્તિ છું. સમય સાથે બદલાવું એ માણસનો મૂળભૂત સ્વભાવ હોય તો એ જલ્દી આગળ વધી શકે છે. પણ, હું એ પણ માનું છું કે કોઈપણ બદલાવ માટે માનસિક તૈયારી હોવી પણ ખુબ જરૂરી છે. વર્તમાનમાં જે પ્રમાણે આપણી જીવનશૈલી બદલાઈ રહી છે, વ્યક્તિ કદાચ પોતે જ પોતાને નથી પહોચી વળતો. શું સારું છે, શું ખરાબ છે, કોઈ પણ નિર્ણયના પરિણામો મારા માટે અને બીજા માટે શું અસર કરશે?, એ બધું વિચારવાનો સમય ઓછો થવા માંડ્યો છે.

આવા સંજોગોમાં વ્યક્તિ માટે કોઈ support mechanism  હોવું અતિ આવશ્યક છે. માત્ર પૈસો જ સફળતા નથી અને જીવનમાં નાની-નાની નિષ્ફળતાઓથી નાસીપાસ થવાની જરૂર નથી એ સમજાવું ખુબ જરૂરી છે. ઘણી વાર મેં અનુભવ્યું છે કે ભયંકર ગુસ્સામાં હોય કે પછી અઢળક નિરાશામાં હોય એવી વ્યક્તિઓને માત્ર શાંતિથી સાંભળવાથી જ અડધી સમસ્યાઓ નું સમાધાન થઇ જાય છે. મનમાં ચાલતી ગડમથલને બહાર કાઢી નાખવાથી ખૂબ હળવાશ અનુભવાય છે. આપણે બધાજ એ જાણીએ છીએ અને જીવનના અમુક તબક્કે આવી લાગણીઓ અનુભવતા હોઈએ છીએ. પરંતુ, શું આપણે કુટુંબમાં, કાર્યસ્થળ પર, પડોશીઓ કે મિત્ર વર્તુળમાં એક સારા શ્રોતાની ભૂમિકા ભજવીને કોઈનો તનાવ દૂર કરવાના પ્રયત્ન કરીએ છીએ?

આ વિચારને આગળ લઇ જતા પહેલા, બે મુક્તકો અહીં ટાંકતા પોતાને રોકી શક્તિ નથી!
“બહારથી જોતા આપણું લાગે,                                એક એવું ઘર મળે આ વિશ્વમાં,
એવું એકેય ઘર નથી મળતું.”                                 જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું !
             - મરીઝ                                 - માધવ રામાનુજ


મિત્રો, આ બદલતા પરીપેક્ષમાં એકમેકનો આધાર બનવાની જગ્યાએ આપણે પણ જો ભૌતિક સુખોની પાછળ આંધળી દોટ મુકીશું તો આપણા સામાજિક મૂલ્યોની રક્ષા કોણ કરશે?  આજે આપણે આપણી આસપાસ એવું પરીવારનું, મિત્રોનું કે સહકર્મચારીઓ નું જાળું બનાવવું પડશે જે ભ્રમિત થતા અટકાવે અને આ ‘so called success’ થી ના અંજાઈને પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવાની પ્રેરણા આપે . સાચી સફળતાના માપદંડ વ્યક્તિ પોતે નક્કી કરે એજ સાચી સફળતા છે.

Success is building your own self-respect by affirming the dignity of your fellow human beings. This is why some of the most successful persons I have known were (and are) amongst the most beloved and respected people on earth even though their material acquisitions were modest. They are great hearts! They are super souls! They are precious persons! They are really beautiful people.  – Fashion, Fortune, lifestyle notwithstanding.   - Robert H. Schuller

કદાચ મેં ઘણું બધું લખી દીધું આજે. પણ, હું આશા રાખુ છુ કે મારા મનની ગડમથલને તમે એક ધેર્યવાન વાચક બની ને સમજશો અને વિચારશો. આ લેખ દ્વારા હું એ જ સંદેશ આપવા માંગું છું કે રોજ આપણે  કેટલીયે વ્યક્તિઓ ને મળીયે છીએ. કોઈ એકદમ જાણીતું હશે તો કોઈ અજાણ. ક્યારેય લાગે કે વ્યક્તિ મૂંઝવણમાં છે કે કોઈ અવઢવમાં છે, કદાચ કોઈ ગુસ્સામાં હશે તો કોઈ સફળતાની સીડીઓ પર પોતાનું સ્થાન શોધવામાં અટવાયેલું હશે. બસ, પોતાની વ્યસ્તતામાંથી એક ક્ષણ ફાળવીને એમને હળવું સ્મિત આપવાની, એક પ્રેમભર્યું નમસ્તે કહેવાની કે એક warm hug આપવાનું ચુકતા નહિ! શું ખબર, તમે એને જીવવાનું કારણ આપી દો!

Comments

  1. Again with an article which touches life directly.... ✍ હુ છુ ને તારી સાથે~ કેટલુ સુંદર વાકય છે...,
    કોઇ આટલુ કહી દે તો પણ
    જિંદગી જીવવા માટે કાફી છે.
    Nice Riddhi... A smile, a word of togetherness can change someone's life but parallaly we should also teach ourselves to live for inner peace and satisfaction where we don't need to rely outside in the world, self contentment.....just a thought...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

If they give you ruled paper, write the other way

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

Tongue Twister or Thought Twister...